અખંડ ભારતના એકમેવ સરદાર
બળવાખોર વિદ્યાર્થી, બાહોશ બેરિસ્ટર, બળુકા વહીવટદાર, બેજોડ અનુયાયી, બુદ્ધિશાળી લડવૈયા, બેલેન્સ્ડ રાજકારણી અને બેદાગ નાયબ વડાપ્રધાન. આ બધાં વિશેષણોનું એકમાત્ર નામ એટલે વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ, એટલે કે ‘સરદાર’. આઝાદી માટે અંગ્રેજ શાસનનો સૂર્યાસ્ત લાવનાર સરદારે આઝાદી પછી દેશી રજવાડાંનો પણ અસ્ત આણ્યો. અખંડ ભારતના આર્કિટેક્ટ સરદારનું જીવન આજે પણ દેશના દરેક નાગરિક માટે પ્રેરણારૂપ છે. સરદારવિદાયનાં ૬૦ વર્ષ નિમિત્તે આ મુઢ્ઢીઊંચેરા ગુજરાતીને દરેક ગુજરાત તરફથી ભાવભરી અંજલી…
મૈંને ગાંધીજી કો કહા, મુઝે રાજ ચલાના હૈ, બંદૂક રખની હૈ, તોપ રખની હૈ, આર્મી રખની હૈ. ગાંધીજી કહતે હૈ કિ કુછ ન કરો, તો મૈં વહ નહીં કર સકતા, કયોંકિ મૈં તીસ કરોડ કા ટ્રસ્ટી હો ગયા હૂં. મેરી જિમ્મેદારી હૈ કિ મૈં સબ કી રક્ષા કરું. દેશ પર હમલા હોગા તો મૈં બર્દાશ્ત નહીં કરુંગા કયોંકિ મેરી જિમ્મેદારી હૈ…મૈંને ગાંધીજી કો કહા, ‘આપકા રાસ્તા અચ્છા હૈ, લેકિન વહાં તક મૈં નહીં જા પાતા હૂં. – સરદાર વલ્લભભાઈ (૧૬ ફેબ્રુઆરી, ૧૯૪૮)
આઝાદીમળ્યા બાદ અત્યંત ટૂંકા સમયમાં ભારતનાં તમામ દેશી રજવાડાંના વિલીનીકરણથી ભારતમાં એકચક્રી લોહશાહીની સ્થાપનાનો માર્ગ મોકળો થયો તે સરદારની શ્રેષ્ઠ સિદ્ધિ લેખાય છે. સરદારની સિદ્ધિનું યથાર્થ મૂલ્યાંકન કરવું હોય તો તે કામની પરિસ્થિતિ અને રજવાડાંનો થોડો ભૂતકાળ સમજવો જરૂરી છે. ભારતના ઈતિહાસમાં અઢારમી સદી અંધાધૂંધીનો કાળ છે. મોગલ સામ્રાજ્ય કબ્રસ્તાન તરફ જઇ રહ્યું હતું અને મરાઠા સામ્રાજ્ય પણ મરણાસન્ન હતું.
આ વાતાવરણનો ગેરલાભ ઉઠાવીને અંગ્રેજોએ મોગલ અને પેશ્વા બંને સામ્રાજ્યોને સ્મશાને પહોંચાડ્યા અને સંખ્યાબંધ રજવાડાંનો ખુરદો બોલાવીને પોતાની સત્તા જમાવી. બધાં રજવાડાં હડપ કરી લેવાના ડેલહાઉસીના પ્રયાસોના કારણે ૧૮૫૭નો બળવો આવી પડ્યો. અંગ્રેજ સરકારે રજવાડાંને ખતમ કરવાના બદલે ખંડિયા બનાવીને આ નિમૉલ્ય રજવાડાંનાં હાડિંપજરોને જીવતા રાખ્યા. દસેક જેટલાં મોટાં અને મહત્વનાં રજવાડાંને બાદ કરીએ તો બાકીનાં રજવાડાં અતિશય ટચુકડાં, ગરીબ અને જુનવાણી હતાં અને અંગ્રેજોના છેલ્લી પાયરીના ગોરા અમલદારોની હાજરીમાં થરથર ધ્રૂજતા રાજા-મહારાજાઓ, સુલતાનો, નવાબો, નિઝામો પાસે નિષ્પાપ અને ગરીબ પ્રજાને ત્રાસ આપવા સિવાય બીજી કોઇ સત્તા હતી નહીં.
૧૯૦૫થી શરૂ થયેલા આઝાદી આંદોલનના કારણે અંગ્રેજી રાજવટ નબળી પડવા માંડી. બીજા વિશ્વયુદ્ધમાં ખોખરી થઇ ગયેલી ઇંગ્લેન્ડની સરકારમાં ભારતમાં અંગ્રેજી રાજ ટકાવી રાખવાની તાકાત ન હોવાથી ભારતને આઝાદી આપવા સિવાય બીજો રસ્તો ન હતો. કોમવાદી વૈમનસ્ય પણ પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું અને મુસ્લિમ લીગના આગ્રહી વલણના કારણે ભારતના ભાગલા પાડવાનો આખરી નિર્ણય લેવાયો.
ભારત પર દાઝે બળતા અંગ્રેજ અમલદારોએ રજવાડાંનો કબજો ભારત-પાકિસ્તાનને સોંપવાના બદલે તમામ રજવાડાંને આઝાદી અને સાર્વભૌમ સત્તા અપાઇ. ૧૯૪૭ના વિભાજનમાં ભારતમાં બે ટુકડા થયા તેમ કહીએ તે અર્ધસત્ય છે. ભારત+પાકિસ્તાન+૫૬૩ રજવાડાં એમ ભારતના કુલ ૫૬૫ ટુકડા કરી નાખ્યા પછી અંગ્રેજોએ વિદાય લીધી. આવા ખંડિત ભારત-પાકિસ્તાને હંમેશ માટે અંગ્રેજોના આશ્રિત બનવું પડશે તેવી અંગ્રેજોની ગણતરી સરદારે ઊંધી પાડી દીધી.
રજવાડાંમાં આઝાદી અને સાર્વભૌમ સત્તા ટકાવવાની તાકાત નથી તેના જાણકાર માઉન્ટબેટને ત્રણ વિકલ્પો સૂચવ્યા: રાજાઓ સ્વેચ્છાએ ભારત કે પાકિસ્તાનમાં જોડાઇ શકે અથવા લશ્કર – વિદેશી સંબંધો-વાહનવ્યવહાર અને ચલણની સત્તા ભારત-પાકિસ્તાનની સરહદોને સોંપીને બાકીની તમામ સત્તાઓનો ભોગવટો કરી શકે અથવા આઝાદ બની શકે.
રજવાડાંની સમસ્યા ઉકેલવા માટે ખાસ ખાતા (સ્ટેટ્સ મિનસ્ટિ્રી)ની સ્થાપના થઇ અને તેનો વહીવટ સરદારને સોંપાયો. સરદારે પહેલી ચાલમાં આખી બાજી હાથમાં લઇ લીધી. આ સમસ્યા ઘણી ગૂંચવણવાળી હોવાથી એક વરસ સુધી ભારત સરકાર અંગ્રેજી રાજવટની સત્તા ભોગવે અને પરિસ્થિતિ યથાવત્ રહે તેવા કરાર (સ્ટેન્ડ સ્ટિલ એગ્રીમેન્ટ)ની જોગવાઇ તેમણે કરાવી લીધી.
ભારતનાં ભૌગોલિક વિસ્તારમાં આવેલાં તમામ રજવાડાં ભારત સરકાર સાથે જોડાઇ જાય તે માટે સરદારે તાબડતોબ વાટાઘાટો શરૂ કરી. તમામ રજવાડાંનો દરજજો અને માન અકરામ જળવાશે, ચાર સિવાયની તમામ સત્તા બધાં રજવાડાં ભોગવી શકશે અને ભારત સરકાર તેમાં કશી દખલગીરી નહીં કરે તેવી મૌખિક અને લેખિત બાંયધરી આપી. ભારત જેવા વિશાળ અને ઉદાર રાષ્ટ્રમાં જોડાવાના ફાયદા સમજાવ્યા. છતાં સંખ્યાબંધ રજવાડાં આડા ફાટયાં.
ત્રાવણકોરના દીવાન રામસ્વામી અને ભોપાલના નવાબ સ્વતંત્ર રહેવા માગતા હતા. ચેમ્બર ઓફ પ્રિન્સઝના ઉપપ્રમુખ જામસાહેબ તમામ રજવાડાંનું સંગઠન સાધીને ભારત-પાકિસ્તાન-રાજસ્થાન એવા ત્રણ ઘટક ઊભા કરવાની મથામણ કરતા હતા. ટચુકડા મુસ્લિમ રાજ્યોને પાકિસ્તાન સાથે જોડાવું હતું. સરહદે આવેલા મહારાજાઓને જીન્નાહ લલચાવી રહ્યા હતા. છતાં સરદારે અતિશય નરમાશથી જબરદસ્ત સફળતા મેળવી અને આઝાદી મળી ત્યાં સુધીમાં ભારતના તમામ રજવાડાંએ જોડાણખતને મંજુરી આપી અને જૈસે થે કરાર પર સહી કરી આપી. માત્ર ત્રણ રજવાડાં બાકી રહી ગયાં.
કાશ્મીરમાં મુસલમાન વસ્તી પર રાજ કરનાર મહારાજા હરિસિંઘ બેમાંથી ક્યાં જોડાવું તેની અવઢવ અનુભવતો હતો. અતિવિશાળ હૈદરાબાદનો નિઝામ આઝાદ રાષ્ટ્ર તરીકે બ્રિટિશ કોમનવેલ્થનો સભાસદ બનવા માગતો હતો અને જુનાગઢના નવાબે પોતાના સિંધી દીવાન શાહનવાઝ ભુટ્ટોની ચડામણીથી પાકિસ્તાન સાથેના જોડાણખત પર સહી કરી આપી હતી અને જુનાગઢ કાયદેસર રીતે પાકિસ્તાની પ્રદેશ બન્યો હતો. પણ કાયદાને અભેરાઇ પર ચડાવવાનો રસ્તો અપનાવીને સરદારે તાબડતોબ ફટકો માર્યો. આરઝી હકુમતની સ્થાપના કરીને જુનાગઢનો કબજો લેવાયો. જનમતથી જુનાગઢ ભારતમાં સામેલ થયું.
જુનાગઢમાં સરદારે અજમાવેલી તરકીબ જીન્નાહે કાશ્મીરમાં અજમાવી. પાકિસ્તાની સેનાની આડશ લઇને કાશ્મીરમાં ત્રાટક્યા અને કાશ્મીર લગભગ કબજે કરી લીધું, પણ ગભરાઇ ગયેલા મહારાજા હરિસિંઘે ભારત સાથેના જોડાણખત પર સહી કરી આપી અને ભારતીય સેના વિમાન મારફતે કાશ્મીરમાં ઠાલવવામાં આવી. અણીના સમયે આવી પહોંચેલી ભારતીય સેનાએ પાકિસ્તાનીઓને મારી હઠાવ્યા. આક્રમણખોરોને ખદેડવામાં આવ્યા પણ પાકિસ્તાની સેના સરહદે આવીને ઊભી.
તે વખતે ભારત અને પાકિસ્તાન બંને દેશોની સેનાના સેનાપતિ જનરલ ઓશીન લેકે જાહેર કર્યું કે બંને લશ્કરના અંગ્રેજ અફસરો લડાઇમાં ભાગ લેશે નહીં તેથી ભારત સરકારે નાઇલાજે યુદ્ધબંધી લાદવી પડી. કાશ્મીર આંતરરાષ્ટ્રીય પ્રશ્ન બન્યો હોવાથી તેનો હવાલો સરદાર પાસેથી લઇને પરદેશ ખાતાને અને વડાપ્રધાન જવાહરલાલ નેહરુને સોંપાયો.
પાકિસ્તાની આક્રમણ સામે ભારતે સલામતી સમિતિમાં ફરિયાદ નોંધાવી. પરંતુ અમેરિકા અને બ્રિટન બંનેએ ભારત વિરોધી વલણ અખત્યાર કરવાના પરિણામે આક્રમણ માત્ર તકરાર બની ગયું અને કાશ્મીરનો સવાલ ગૂંચવાઇ ગયો. મહારાજા હરિસિંઘે જોડાણખત પર સહી કરી હોવા છતાં નેહરુએ સામે ચાલીને કાશ્મીરમાં લોકમત લેવાશે અને ત્યારપછી જ જોડાણખતને કાયદેસર બહાલી અપાશે તેવું જાહેર કર્યું (નવેમ્બર ૧૯૪૭).
રાજાએ કરેલા જોડાણખતને લોકમતની પુષ્ટિ મળવી જોઇએ તેવો નેહરુનો આગ્રહ હૈદરાબાદના કારણે હતો. નિઝામનું વલણ કળાતું ન હતું પણ પાકિસ્તાન સાથે જોડાણ કરે તેને લોકમતની મંજુરી મળે તો જ ભારત તેને માન્યતા આપશે તેવો સિદ્ધાંત નેહરુ સ્થાપવા માગતા હતા. કાશ્મીરમાં લોકમત લેવાય તો પાકિસ્તાનની તરફેણમાં જાય તે સહુ જાણતા હતા અને જાણે છે પણ હૈદરાબાદમાં નેવું ટકા વસતી હિંદુઓની હોવાથી લોકમત ભારત તરફી રહે તે સ્વાભાવિક ગણાય.
ભારતનો નકશો જોનાર જાણી શકશે કે કાશ્મીર જાય તો ભારતને નુકસાન જાય પણ હૈદરાબાદ જાય તો ભારતની છાતીમાં છિદ્ર પડે, પણ હૈદરાબાદનો પ્રશ્ન અલગ રીતે ઉકેલાયા પછી કાશ્મીરમાં લોકમત લેવાનું વચન ભારત સતત ટાળતું રહ્યું છે. ૧૯૫૬માં ગૃહમંત્રી પંડિત ગોવિંદ વલ્લભપંતે કાશ્મીરમાં લોકમતની માગણી ફગાવી દીધી.
આ વિલીનીકરણના પરિણામે ભારતની નાવમાં અંગ્રેજોએ પાડેલાં સાડા પાંચસો કાણાં પૂરી દેવાયાં. તમામ રજવાડાં અને રાજાઓની સત્તા ખતમ થઇ ગઇ. તેમના મહેલો, માલમિલકત, ખિતાબો જેમના તેમ રહ્યાં. ભારત સરકારે બાંધી આપેલા સાલિયાણાં ૧૯૫૦માં સાડા પાંચ કરોડના હતાં. આ સાલિયાણાં ૧૯૭૧-૭૨ની સાલમાં ઇન્દિરા ગાંધીએ નાબૂદ કરીને સરદારના કામની પૂણૉહુતિ કરી.વિલીનીકરણ ચાલી રહ્યું હતું ત્યારે સરદારની નજર હૈદરાબાદ પર હતી.
નિઝામે દિલ્હીમાં અને કરાંચીમાં પોતાના રાજદૂતો નિમ્યા. ભારત સરકારે કનૈયાલાલ મુન્શીને હૈદરાબાદમાં રેસિડન્ટ તરીકે મોકલી આપ્યા. નિઝામે પાકિસ્તાનને વીસ કરોડની લોન આપી. ગોવા ખરીદી લઇને હૈદરાબાદને બંદરી રાજ્ય બનાવવાની કોશિશ કરી. પરદેશથી શસ્ત્રો અને સરંજામ મંગાવ્યા. દરમિયાન ભારત સાથે મર્યાદિત જોડાણની આડીઅવળી યોજનાઓ રજુ કરીને માઉન્ટબેટન જોડે ચર્ચા ચલાવી.
નિઝામ કાસિમ રિઝવીએ રઝાકાર સેના ઊભી કરીને દિલ્હી પર ચડાઇ કરવાની શેખી મારી. હિંદુઓને ત્રાસ આપ્યો અને સ્વામી રામાનંદ તીર્થ જેવા અનેક આગેવાનોને કારવાસમાં ખોંસી દેવાયા. દિલ્હીમાં થયેલું દરેક સમાધાન નિઝામે નકારી કાઢ્યું અને તેના પ્રતિનિધિઓ દિલ્હી-હૈદરાબાદ વચ્ચે દોડતા રહ્યા. નિઝામે સ્વતંત્ર રાષ્ટ્ર બનવાની મથામણ ચાલુ રાખી અને સરદાર ચૂપચાપ તમાશો જોતા રહ્યા કારણ કે આ કામગીરી માઉન્ટબેટને સંભાળી હતી.
૧૯૪૮ના ઓગસ્ટમાં માઉન્ટબેટને હોદ્દો છોડ્યો ત્યારે નિઝામની આંખ ઊઘડી કારણ કે હવે સરદાર જોડે કામ પાડવાનું હતું. નિઝામે છેલ્લી યોજના સ્વીકારી લીધી પણ સરદારે કહ્યું કે આ યોજના તો વિલાયત ચાલી ગઇ છે. જીન્નાહના અવસાનનો લાભ ઉઠાવીને સરદારે હૈદરાબાદ સામે લશ્કરી કારવાઇ શરૂ કરી અને ભારતીય સેના ત્રણ બાજુથી હૈદરાબાદમાં દાખલ થઇ. નિઝામે શરણાગતિ સ્વીકારીને જોડાણખત પર સહી કરી આપી. આ સાથે વિલીનીકરણ લાંબી પ્રક્રિયાનો અંત આવ્યો.
આ કામ બજાવવામાં સરદારે સાધનશુદ્ધિનો આગ્રહ રાખ્યો નથી. પરંતુ સરદારની દ્રઢતા, કુનેહ અને સામા પક્ષને દબડાવીને ડારો દેખાડીને દબાવી દેવાની અજોડ કઠોરતા આ કામગીરીમાં પૂરેપૂરી પ્રગટ થઇ. સરદારને લોખંડી પુરુષ કહેવાય છે તે થોડું વધારે પડતું છે, પણ ભારતની રાજકીય એકતા તેમની પરમ સિદ્ધિ છે અને બેજોડ કામગીરી છે તેમાં કશી શંકાને સ્થાન નથી.
વિલીનીકરણના સરદાર,
‘મારા નામથી તમારી ઉણપો ન ઢાંકશો’
અગાઉ શાળાઓમાં વિદ્યાર્થીઓને કોઈ ‘આઈટેમ’ રજુ કરવાનું કહેવાતું ત્યારે રામાયણનાં પાત્રો આજે કઈ રીતે વર્તે તેનું આવડે તેવું નિરુપણ બાળકો કરતાં. એ જ ઢબે, સરદાર આજે શું બોલે એની કલ્પના કરવા જેવી ખરી. માની લો કે સરદાર આજે રાષ્ટ્રજોગું પ્રવચન આપે તો એ શું કહે? એક કલ્પના… નિર્ભેળ કલ્પના…
હે ભારતીયો, મારા પર માલિકીહકના દાવા બંધ કરો. કરમસદ, પટેલો, ગુજરાત, કોંગ્રેસ, ભાજપ… કોઈનો હક નથી મારા પર. હું ગાંધીજીનો સિપાઈ હતો અને એ જ રૂપમાં લોકો મને યાદ રાખે એવો મારો આગ્રહ છે. બીજી વાત: મારા ગુરુ ગાંધીજીને વિસરીને તમે ભીંત ભૂલી રહ્યા છો. ગાંધીજીએ જેમને વારસ નિમ્યા તે જવાહર અને જવાહરના વારસ એવાં ઇન્દિરા-રાજીવ-સોનિયા-રાહુલ મને વિસરી જાય તો એનો શોક કરવા જેવો નથી, પણ આખો દેશ ગાંધીજીના આદર્શો અને મૂલ્યોને આ હદે વિસરી જાય એ મને અક્ષમ્ય જણાય છે.
રહી વાત મારા સરદાર હોવા વિશેની. કોઈ પણ દેશને હંમેશાં સાચા સરદારની, સૂઝબૂઝવાળા મક્કમ આગેવાનની જરૂર રહેવાની જ. એટલે જ તો મારા ગયા પછી જનતા નવા સરદારને ખોળી રહી છે. મારા પછીનો સરદાર કોણ, એવી મૂંઝવણ તમને થાય તો હું તમને એક સાદી પરીક્ષા સૂચવું છું. જે આ પરીક્ષામાં પાસ થાય તેને સાચો સરદાર ગણજો. પરીક્ષા આ છે: જેનામાં કોઠાસૂઝ હોય, કામ પાર પાડવા બાબતે જે મક્કમ હોય અને કામના બદલામાં સંપત્તિ કે યશ મેળવવા બાબતે જે નિર્લેપ હોય એ સરદાર હોઈ શકે.
ભારત પાસે આજે એવી અનેક પ્રતિભા છે જેનામાં કોઠાસૂઝ છે, કામ પાર પાડવા બાબતે જે મક્કમ અને કાબેલ છે, પણ કામના બદલામાં સંપત્તિ કે યશ વિના એમને ચાલતું નથી. હું જાણું છું કે કામનું વળતર સૌને ગમે. મને પણ ગમતું. પરંતુ વળતરરૂપે મને કાંચન-કીર્તિ ફિક્કાં લાગતાં. મને બે જ વળતરમાં રસ હતો: હૃદયનો સંતોષ અને બાપુનો રાજીપો. નેતા પૈસા અને જશ પાછળ ભાગે એ ન ચાલે. પહેલાં જશની વાત કરીએ. આજનું રાજકારણ ‘કામ થોડું ને જશ ઝાઝો’ના ધોરણે ચાલી રહ્યું છે. નેતાઓ નાનું કામ કરે તો પણ મોટા ફોટા છપાવે છે. એમની દલીલ એવી હોય છે કે આવું બધું ન કરીએ તો ફેંકાઈ જઈએ, સતત જનતાની નજરમાં રહેવું પડે, આજનો યુગ પ્રચારનો યુગ છે.
આ બચાવ લૂલો છે. આજે જ નહીં, પહેલેથી જ પ્રચારની બોલબાલા રહી છે. બોલે એના બોર વેચાય. બોલવું તો પડે જ. પણ જાતે બોલવાની જરૂર નથી. કામને બોલવા દો. જાતે બણગાં ન ફૂંકો, તમારું કામ જ તમારાં નગારાં વગાડશે. હું મારા વિશે કશું નહોતો બોલતો, તો પણ મારું કામ એટલા મોટા અવાજે બોલતું રહ્યું છે કે મારી વિદાયના ૬૦ વર્ષ પછી પણ મારા વિશે ફિલ્મો-નાટક બને છે, મારી મૃત્યુતિથિ પર પૂર્તિ બહાર પડે છે. મતલબ એટલો કે લાંબા ગાળાની સાચી કીર્તિ જોઈતી હોય તો ચૂપચાપ કામ કરો. એક વાક્ય હું વારંવાર મારા સાથીઓને કહેતો: તમે તમારું કામ દ્રઢતાથી કરતા રહેજો. બધું ઠીક થશે.
કીર્તિની વાતથી ઠીક યાદ આવ્યું. તમે સૌએ મને બહુ બહુ વધાવ્યો છે, રજવાડાંના વિલીનીકરણનો સમગ્ર યશ તમે મને આપતાં રહ્યા છો. પણ એ ઠીક નથી. વિલીનીકરણનો યશ જેટલો મને એટલો જ, તમે માનશો નહીં, લોર્ડ માઉન્ટબેટનને પણ મળવો રહ્યો. ૧૯૪૭માં આઝાદી મળી તે અગાઉ ૫૦થી પણ ઓછા દિવસોમાં દેશના પાંચ સિવાયના તમામ રજવાડાંએ ભારત સાથેના જોડાણખત પર સહી કરી આપી એ કામ અસલમાં કઈ રીતે થયું તેનું સૌથી સચોટ વર્ણન મારા અંગત સચિવ વી. શંકરે કર્યું છે:
‘રાજાઓ સાથે ખુલીને વાતચીત કરીને સરદારે ભૂમિકા ઊભી કરી હતી, પણ રાજાઓને સલુકાઈથી, સફળતાપૂર્વક વિલીનીકરણના પક્ષમાં લઈ આવવાનું શ્રેય લોર્ડ માઉન્ટબેટનના ખાતે છે. સમજાવટ અને રાજકીય કુનેહની એમનામાં જે શ્રેષ્ઠ નૈસિર્ગક પ્રતિભા હતી એ વગર આ સિદ્ધિ શક્ય નહોતી. અત્યાર સુધી બ્રિટિશ પ્રતિનિધિની શેહમાં રહેલા રાજાઓની માનસિકતાનો પણ માઉન્ટબેટને ફાયદો લીધો. સમગ્રપણે જોતાં એ એવું કામ હતું, જેનાથી ભારતના નાયકોની પંગતમાં માઉન્ટબેટનને મળેલું કાયમી સ્થાન યોગ્ય સાબિત થાય.’
મેં પોતે પણ સ્વતંત્ર થયાના બીજા દિવસે માઉન્ટબેટનના મહાકાર્યને બિરદાવવા એમને પત્ર લખેલો: ‘તમારા વાઈસરોયપદના છ માસનો ઈતિહાસ લખાશે ત્યારે અનેક પ્રકારનાં મુશ્કેલ કાર્યો જે રીતે સિદ્ધ થયાં અને ભારત-બ્રિટન સંબંધોમાં તિળયાથી ઉપર લગી જે પરિવર્તન આવ્યું, તેના યશનો મોટો હિસ્સો ઈતિહાસ તમારા નામે ફાળવશે.’ પણ મારી આ ભવિષ્યવાણી ખોટી પડી. ઈતિહાસે વિલીનીકરણ બાબતે જેટલો યશ મને આપ્યો છે એટલો માઉન્ટબેટનને નથી આપ્યો.
આજે લોર્ડ માઉન્ટબેટનને લોકો જવાહરમિત્ર એડવિનાના પતિ તરીકે જ ફક્ત યાદ કરે છે એ દુખદ છે. ટુકડાઓમાં વહેંચાયેલું ભારત એક અતૂટ એકમ બન્યું એનો જેટલો જશ મને એટલો જ માઉન્ટબેટનને પણ મળવો રહ્યો. કહેવાનું એ કે જશ ખાટવાનો નહીં, જશ આપવાનો જુસ્સો દાખવો. તો સાચી કીર્તિ મળે, તો લોકોના હૃદયમાં કાયમી સ્થાન મળે.
રહી વાત પૈસાની. લોકો ધન કમાવા નેતા બને એ તો કેમેય ન ચાલે. એ સાચું છે કે ધન વિના કોઈ કાર્ય ન થઈ શકે. હું પોતે ઉદ્યોગપતિઓ સાથે વધુ નિકટતા બદલ થોડો બદનામ થયેલો. પક્ષ માટે ભંડોળ ભેગું કરવાનું કામ જ્યારે બીજું કોઈ ન કરી શકે ત્યારે મારા માથે જ આવતું. ધનને ધિક્કારવાની જરૂર નથી. ઉદ્યોગપતિઓને બધી વાતે વખોડી કાઢવાની જરૂર નથી. આ મામલે મારે જવાહર સાથે પણ મતભેદ થયેલા. જવાહરને સમાજવાદ પસંદ પડતો, પરંતુ મારું કહેવું છે કે મૂડીવાદ વિના, ઉદ્યોગો વિના ચાલવાનું નથી. ઉદ્યોગપતિઓને દેશના ઘડતરમાં સામેલ કરવાનું કામ નેતાઓનું છે.
એ માટે ઉદ્યોગપતિઓને સમજાવવા પડે અને જરૂર પડે તો શરમાવવા પણ પડે. ઉદ્યોગપતિઓને સમજાવવા-શરમાવવાની કળા મારા સેનાપતિ ગાંધીજીને બહુ સારી આવડતી. આજકાલના આ બધા જે લલિત મોદીઓ અને નીરા રાડિયાઓ છે એ ફક્ત પોતાના લાભમાં રાચતાં, છતાં કાબેલ લોકો છે. આજે ગાંધીજી અને હું હયાત હોત તો આવાં ખરડાયેલાં છતાં સક્ષમ લોકોને, જરૂરી જણાય તો સજા તથા દંડથી ધોઈ-વીછળીને, સાફસૂફ કરીને પછી એમને દેશહિતના કામે લગાડવાની કોશિશ અમે જરૂર કરી હોત.
સક્ષમોની ક્ષમતા અને ઉદ્યોગપતિઓનું ધન દેશહિતના કામે લગાડવાનું કામ નેતાનું છે. મેં શરૂઆતમાં કહ્યું કે મને વિસરી જશો તો ચાલશે, પણ મારા સેનાપતિ ગાંધીજીને ન વિસરશો, કારણ કે એમણે જ મારા જેવા એક વૈભવપ્રેમી વલ્લભભાઈ પટેલથી માંડીને સારાભાઈ, બિરલા, કસ્તુરભાઈ લાલભાઈ જેવા અનેક ઉદ્યોગપતિઓને દેશહિતના રસ્તે વાળેલા.
ઢીલા લોકોથી શેક્યો પાપડ પણ ભાંગવાનો નથી. કાયરોના કકળાટથી કશું વળવાનું નથી. તમને ખરાબ લાગે તો પણ એક વાત સમજી લેજો કે ‘અમારા સરદાર મહાન’ એ નારો તમે જેટલા ઊંચા સાદે બોલશો એટલી તમારી નબળાઈ છતી થશે. આપણો ભૂતકાળ અને સંંસ્કૃતિ કેટલાં મહાન હતાં એની રાડારાડ નિરર્થક છે. આપણી ગઈ કાલ મહાન હતી તો હતી, તેનું આજે શું? ભૂતકાળની ભવ્યતામાં રાચતી પ્રજા વર્તમાનમાં કશું ઉકાળી શકતી નથી. પેલા મરાઠી નેતાઓ શિવાજી, શિવાજીનું રટણ કર્યા કરે છે.
શિવાજી મહાન હતા, આજના ભારતના બહુ મોટા વિસ્તાર સુધી એમણે પ્રભાવ પાથરેલો. અને આજે? આજે શિવાજીનું નામ રટતાં નેતાઓ મહારાષ્ટ્રની બહાર જતાં પણ ફફડે છે. અને પેલા બંગાળીઓ. એ લોકો રવીન્દ્રનાથની મહાનતાના ગુણ ગાતાં થાકતાં નથી. અમારા રવીન્દ્રનાથ, અમારા રવીન્દ્રનાથ એવા ગુમાનમાં રાચતાં બંગાળીઓએ વિચારવાનું એ છે કે આજે કેટલા રવીન્દ્રનાથ બંગાળમાં છે. જેમ મરાઠીઓ શિવાજીને અને જેમ બંગાળીઓ રવીન્દ્રનાથને પોતાની આજની કમી ઢાંકવાના વસ્ત્ર તરીકે ઉપયોગમાં લે છે એવી રીતે આજના ગુજરાતીઓ પોતાની ઓછપ છુપાવવા ‘અમારા સરદાર મહાન’ના નારા પોકારે તો એથી હું ગર્વ નહીં, શરમ અનુભવું.
મારા નામે મિથ્યાભિમાનમાં રાચશો નહીં. તમારું જે કંઈ કામ છે એ નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી કરો એટલું પૂરતું છે. રિક્ષાવાળાથી માંડીને ઉદ્યોગપતિ અને વડા પ્રધાન, સૌ પોતપોતાનું કામ સારામાં સારી રીતે કરે તો દેશ આપોઆપ આગળ આવે. દેશપ્રેમ વ્યક્ત કરવા નારાબાજીની જરૂર નથી, કાર્યનિષ્ઠા અને પ્રામાણિકતા પૂરતાં છે. મારું અત્યંત પ્રિય વિધાન ફરીથી કહું તો: તમે તમારું કામ દ્રઢતાથી કરતા રહેજો. બધું ઠીક થશે.
ધારદાર સરદાર,
સરદાર, વીર અને નેતાજી!
વલ્લભભાઇ પટેલ, વિઠ્ઠલભાઇ પટેલ અને સુભાષચંદ્ર બોઝ. આ ત્રણેને ભારતીય પ્રજાએ નવા સંબોધન સાથેનું સન્માન આપ્યું. વલ્લભભાઇ ‘સરદાર’ કહેવાયા, વિઠ્ઠલભાઇને ‘વીર’ કહેવાયા અને સુભાષચંદ્ર બોઝ ઝળહળતા સ્વાતંત્ર્ય યુદ્ધના ‘નેતાજી’ બન્યા. આ ત્રણે પ્રખર દેશભક્તો લગભગ એક જ સમયે જે રીતે સ્વતંત્રતાની રાજનીતિમાં સક્રિય રહ્યા તેનો એક સાથે અભ્યાસ પણ કરવા જેવો છે.
ભારતનીસ્વતંત્રતાના રાષ્ટ્રીય રાજકારણમાં, કદાચ સૌથી તેજસ્વી નક્ષત્રોની યાદી કરીએ તો ત્રણ નામોનું તરત સ્મરણ થઇ આવે, એક વલ્લભભાઇ પટેલ, બીજા વિઠ્ઠલભાઇ પટેલ અને ત્રીજા સુભાષચંદ્ર બોઝ! આ ત્રણે પ્રખર દેશભક્તો લગભગ એક જ સમયે જે રીતે સ્વતંત્રતાની રાજનીતિમાં સક્રિય રહ્યા તેનો એક સાથે અભ્યાસ પણ કરવા જેવો છે. તેમના સમર્થ, બૌદ્ધિક અને અસીમિત બલિદાનના આદર્શોએ સ્વતંત્રતા માટેના નકશાને કેવો પરિવર્તિત કર્યો તે ભૂમિકા જ તેમના સામ્ય-ભેદ માટે સ્વાભાવિક રહેશે.
ઘણીવાર એ સવાલ ઊઠે કે જો વલ્લભભાઇ, વિઠ્ઠલભાઇ પટેલ અને સુભાષચંદ્ર બોઝ એકબીજાના હાથમાં હાથ મેળવીને રાષ્ટ્રીય રાજકારણમાં રહ્યા હોત તો સ્વાધીન દેશનું માનચિત્ર કેવું બદલાયેલું હોત? વિઠ્ઠલભાઇ પક્કા ‘સ્વરાજ પક્ષ’ના સૂત્રધાર હતા. ભારત અને અમેરિકા-ઇંગ્લેન્ડ-વિયેનામાં તેમણે સંપૂર્ણ બૌદ્ધિક, પરિશુદ્ધ બંધારણીય માર્ગ અને એકદમ વ્યવહારુ રસ્તે ભારતની આઝાદી માટે અથાગ પ્રયાસો કર્યા.
ગાંધીજીના નેતૃત્વ માટે તેમને પૂરું સન્માન હતું પણ ચોરીચૌરાકાંડનું નિમિત્ત લઇને અસહકાર આંદોલનને મોકૂફ રાખવાથી માંડીને બીજી ગોળમેજી પરિષદમાં ભારતની આઝાદીને કેન્દ્રમાં રાખવાને બદલે બીજી વ્યક્તિગત ભેળસેળને મહત્વ આપવાની નીતિથી વિઠ્ઠલભાઇ સખત નારાજ હતા. લંડનમાં ગોળમેજી પૂર્વે વિઠ્ઠલભાઇ ગાંધીજીને મળ્યા હતા. તેમણે બ્રિટિશ રાજપુરુષો સાથે મંત્રણા કરીને, ભારતની સ્વતંત્રતાના નિર્ણયોની પૂર્વભૂમિકાનો તખતો તૈયાર કર્યો હતો. પણ ગાંધીજી માન્યા નહીં.
તેમણે કહ્યું કે હું ને મારો ભગવાન બે જ છીએ, તે મને દોરશે. આનો અર્થ વિઠ્ઠલભાઇ-જીવનીના સમર્થ લેખક જી. આઇ. પટેલે તારવ્યો છે, ‘એ દેખીતું હતું કે ગાંધીજી બ્રિટિશ સરકાર સાથે મંત્રણા દ્વારા કોઇ સમજુતિ માટે ગયા નહોતા, તેમને તો અહિંસા અને સત્યનો પશ્ચિમના દેશોને ઉપદેશ કરવાનો હેતુ હતો.’
આનાથીયે તીવ્ર પ્રતિક્રિયા વિઠ્ઠલભાઇ અને સુભાષચંદ્રના સંયુક્ત નિવેદન (૨૩ જુલાઇ, ૧૯૪૪)માં હતી. તેમાં જણાવાયું કે, ‘ગાંધીજીની હાલની નીતિ અને કાર્યક્રમોની પદ્ધતિએ કોંગ્રેસની નિસબત છે ત્યાં સુધી સંપૂર્ણ નિષ્ફળ છે. સમય આવી ગયો છે કે કોંગ્રેસની નેતાગીરીમાં બદલાવ આવે અને તે ગતિશીલ સંગઠન બને.’ ચોથો દુ:ખદ કિસ્સો વલ્લભભાઇ-વિઠ્ઠલભાઇ વચ્ચેના મતભેદનો છે. બંને ભાઇઓ એકબીજા પ્રત્યે અત્યંત હાર્દિક અને પ્રેમાળ સંબંધ ધરાવનાર હતા પણ વિઠ્ઠલભાઇના દેહાવસાન (૧૨ ઓક્ટોબર, ૧૯૩૩) પૂર્વે તેમણે જે વસિયતનામું તૈયાર કરાવ્યું, જેમાં વિઠ્ઠલભાઇના હસ્તાક્ષર પણ હતા, તે વલ્લભભાઇ અને અન્ય કુટુંબીજનોને ‘યોગ્ય’ ન લાગ્યું. વિઠ્ઠલભાઇની સહી વિશે શંકા ઉઠાવવામાં આવી.
બંગાળી લોકોને જ કેમ સાક્ષી રખાયા એવો સવાલ કરાયો. મુખ્યકારણ એ હતું કે વસિયતનામા અનુસાર વિઠ્ઠલભાઇની મિલકતને સુભાષબાબુ સંભાળી લે તેવી ઇચ્છા વ્યક્ત થઇ હતી. વિઠ્ઠલભાઇના છેલ્લા ત્રણ દિવસોમાં યુવાન સુભાષે તેમની સુશ્રુષા કરી હતી. વિઠ્ઠલભાઇએ આયર્લેન્ડના ક્રાંતિકાર ડી વેલેશની મુલાકાત લીધી, તે પછી તેમના સૂચન પ્રમાણે સુભાષ પણ વેલેશને મળ્યા હતા. ભારત અને ભારતની બહાર સ્વતંત્રતા માટેના વ્યાપક પ્રયાસોનું આયોજન થયું હતું.
તે દરમિયાન વિઠ્ઠલભાઇએ જલાવતન સ્થિતિમાં આંખો મીંચી. વિયેનામાં તેમને કોઇએ પૂછ્યું કે ભારત ક્યારે પાછા ફરશો? તો હસીને કહ્યું, ‘જ્યારે ત્યાંની જેલમાં નિરોગી રહી શકું ત્યારે!’ (ભારતમાં તેમની જેલવાસ દરમિયાન હાલત બગડી તે પછી વધુ સારવાર માટે વિદેશ જવા પરવાનગી અપાઇ હતી.)
સુભાષને વિઠ્ઠલભાઇએ ‘શક્તિશાળી, દૂરર્દષ્ટા દેશભક્ત નેતા’ તરીકે બિરદાવ્યા હતા, પણ વસિયતનામાએ નવો વિવાદ સર્જ્યો. આપણા આઇ. જી. પટેલ મધ્યસ્થી હતા. તેમની સ્થિતિ ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી હતી. છેવટે સરદાર અને અન્ય પ્રયાસોથી કોર્ટે વસિયતનામાનો પોતાની રીતે અર્થ તારવ્યો, તે રકમમાંથી કોંગ્રેસે ‘વિઠ્ઠલભાઇ સ્મારક સમિતિ’ સ્થાપવાનું નક્કી કર્યું. પરંતુ સરદાર-સુભાષ વચ્ચેની તિરાડ ત્યારથી નહોતી થઇ. ૧૯૩૭માં ગુજરાતના હરિપુરા ગામે ભવ્ય અધિવેશન થયું તે પહેલાં ગાંધીજીએ સરદારની સલાહ લીધી હતી. ‘સુભાષ અસ્થિર છે એમ મેં પણ જોયું છે પણ અત્યારે તેના સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.’
(વેટર્સ ટુ સરદાર પટેલ: મો.ક.ગાંધી, પાન ૧૨૯) આવો મત બંધાયો. સુભાષ બીજીવાર કોંગ્રેસ પ્રમુખ થવા ઇચ્છતા હતા ત્યારે તો રાજમોહન ગાંધી લખે છે તેમ – ‘પહેલી વખત પણ સુભાષની પસંદગી વલ્લભભાઇને ગમી ન હતી. આ વખતે તેમણે વાંધો ઉઠાવ્યો. આ પ્રત્યાઘાતમાં થોડું અંગત તત્વ પણ હતું. વિઠ્ઠલભાઇના વસિયતનામામાં સુભાષે ભજવેલા ભાગ અંગે વલ્લભભાઇને જાગેલી કુશંકાઓ હજુ શમી ન હતી અને સુભાષની કાર્યક્ષમતા અંગે પણ તેમનો અભિપ્રાય સારો નહોતો.
બીમાર પડેલા રાજેન્દ્રરપ્રસાદને ૧૯૩૮ના જુલાઇમાં લખેલા પત્રમાં સરદારે લખ્યું, ‘અમારે એવા પ્રમુખ જોડે કામ પાડવાનું છે જેને પોતાના કામની સમજ નથી.’ જોકે વસિયતનામું કે આવડતનો અભિપ્રાય ન હોત તોયે વલ્લભભાઇ સુભાષની ફરી વરણીનો વિરોધ કર્યો હોત. ફરીવાર પ્રમુખપદના વિરોધમાં બીજા ઘણાં કારણો હતા. વલ્લભભાઇને લાગ્યું કે સુભાષ તેમના વિરોધી છે. રાજેન્દ્રર પ્રસાદને મૌલાના આઝાદનો પત્ર મોકલતા તેમણે સખત ટીકા પણ કરી. ગાંધીજીને લાગતું હતું કે સુભાષ કલકત્તામાં જર્મન કોન્સલના સંપર્કમાં છે ને કંઇક ગોઠવણ કરી રહ્યા છે. આ અહેવાલ બ્રિટિશ ગુપ્તચર તંત્રનો હતો, પણ ગાંધીજીને લાગ્યું કે વિશ્વયુદ્ધ શરૂ થાય તો બોઝ એવું વલણ લેશે કે જેને ટેકો આપી શકાય નહીં.
સુભાષને મુસોલિની પ્રત્યે આદરભાવ હતો તેમ ક.મા.મુનશીએ નોંધ્યું અને ગાંધીજીને જણાવ્યું. સરદાર-સુભાષ આમ ગણો તો પદ્ધતિ અને વ્યક્તિનિષ્ઠા બે જ મુદ્દે અલગ હતા. સુભાષે ‘સાબરમતી પ્રકારની રાષ્ટ્રીય નીતિ’ને અમાન્ય કરી હતી, સરદારે ગાંધીજી પાસે પોતાનું સમગ્ર વ્યક્તિત્વ ધરી દીધું હતું. સુભાષના ક્રાંતિકારી દિમાગમાં દક્ષિણ એશિયાની સ્વાધીનતાપ્રેમી પ્રજાને સંગિઠત કરીને, ‘દુશ્મનના દુશ્મન દોસ્ત’ એ ન્યાયે જાપાનની સાથે હાથ મેળવીને ભારત—મુક્તિ માટે મરણિયા પ્રયાસો મહત્વના હતા. એમ તેમણે કર્યું પણ ખરું.
સરદાર માટે એ રસ્તો વ્યવહારુ નહીં હોય. વિઠ્ઠલભાઇએ સુભાષને પહેલેથી જ સમર્થન આપ્યું. તેમના દેહાવસાન પછી બુઝુર્ગ ક્રાંતિકાર રાસબિહારી બોઝના સુભાષને આશીર્વાદ મળ્યા અને ‘આઝાદ હિન્દ ફોજપ્ત રચાઇ, તે અધ્યાય જગજાણીતો છે.વિઠ્ઠલભાઇના મૃતદેહને ભારત લાવીને ભવ્ય વિદાય સાથે અગ્નિસંસ્કારની જવાબદારી વિઠ્ઠલભાઇના અંતરંગ યુવાન મિત્ર જી.આઇ.પાસે હતી.
પણ તેમણે જીવનચરિત્રમાં લખ્યું છે કે કાર્યદક્ષ સમિતિએ સમગ્ર દોર પોતાના હાથમાં લઇ લીધો, સરદારે ના પાડી એટલે ચોપાટી પર, તેમના પરમ સાથી ટિળક મહારાજની પાસે અગ્નિસંસ્કાર ન કરી શક્યા. ‘ગાંધીજીએ કોઇ મહત્વનો પ્રતિસાદ ન આપ્યો એટલે સરકારે વલ્લભભાઇને જેલમાંથી ન છોડ્યા’ તે આવી શક્યા નહીં અને સોનાપુર સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર થયા.
સરદાર, વિઠ્ઠલભાઇ અને સુભાષ- ત્રણે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના પ્રમુખો બન્યા હતા અને પછી રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા હતા. વિદેશોમાં આંખ મીંચનારા પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, લાલા હરદયાળ, મદનલાલ ધીંગરા, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, રાસબિહારી બોઝ અને સુભાષબાબુની જેમ વિઠ્ઠલભાઇ પણ વિદેશે અવસાન પામ્યા. એ પણ ઈતિહાસની એક ધ્યાનમાં આવે તેવી ઘટના!