શ્રીકૃષ્ણે જોયું કે જો દ્રોણની આગળ યુધિષ્ઠિર સત્યવાદીપણું
દાખવશે તો ખરી વાત જણાઈ જશે, ને સાંજે પાંડવસૈન્ય સાફ થઈ જશે. એમણે ખૂબ દબાણ કરી યુધિષ્ઠિરને પણ “અશ્વત્થામા હણાયો” એમ બોલવા કહ્યું.
યુધિષ્ઠિર ધર્મસંકટમાં આવી પડ્યા. આખરે સત્યને વેગળું મૂકી એ બોલ્યા: “અશ્વત્થામા હણાયો-”અને પછી બહુ ધીરેથી બોલ્યા “નરો વા કુંજરો વા !” (એટલે કે અશ્વત્થામા મરાયો- પછી તે માણસ કે હાથી કોણ જાણે!)
યુધિષ્ઠિરના “અશ્વત્થામા હણાયો !” એટલા શબ્દો સાંભળ્યા ને તરત દ્રોણને આખે શરીરે કંપારી છૂટી. હથિયાર એમ ને એમ હાથમાં પકડી સૂઢમૂઢની માફક એ રથ પર બેસી રહ્યા.
ધર્માત્મા યુધિષ્ઠિર આખી જિંદગીમાં કદી અસત્ય બોલ્યા નહોતા. આજ આટલાં જૂઠાં વેણ ઉચ્ચાર્યાં એટલા માટે પણ એમને સહન કરવું પડ્યું. કહે છે કે એમનો રથ એમના સત્યવાદીપણાને લીધે જમીનથી ચાર આંગળા ઊંચો અદ્ધર અદ્ધર ચાલતો હતો. આ એક વારના અસત્ય ભાષણથી એમનો રથ બીજાઓની માફક જમીનથી અડોઅડ થઈ ગયો !
દ્રોણ હથિયાર છોડીને વિલાપ કરત હતા તે તકનો લાભ લઈ પાંચાલ પુત્ર ધૃષ્ટદ્યુમ્ને એમના ઉપર તાકીને તીરે માર્યાં ને એમને ઘાયલ કર્યાં !
ધૃષ્ટદ્યુમ્નના આ કામને સૌએ વખોડ્યું પણ એણે કશાની દરકાર ન કરી. એણે દ્રોણ પાસે ધસી જઈ એમનું માથું કાપી નાખ્યું !
પાંદવસેનામાં હરખનાં વાજાં વાગ્યાં. કૌરવસેનામાં હાહાકાર ફેલાઈ ગયો. સૈન્ય પાછું હઠવા લાગ્યું.
બીજી બાજુ અશ્વત્થામા લડતો હતો તેને આ તરકટની ખબર પડી. પિતા દ્રોણ રણમાં રોળાયાની વાત સાંભળી એના હૈયામાં ઊંડો ચિરાડો પડ્યો. એણે કૌરવસેનાને નાસતી રોકી. ભારે ક્રોધમાં આવી એણે પાંડવોના સૈન્ય ઉપર નારાયણાસ્ત્ર નામના ભયંકર હથિયારનો પ્રયોગ કર્યો.
એ નારાયણાસ્ત્ર એવું ભયંકર હતું કે માણસો તો શું, પણ સાક્ષાત્ દેવો પણ એની સામે ઊભા રહી શકે એમ ન હતા. અશ્વત્થામાએ ધનુષ ઉપર બાણ ચડાવી એ છોડ્યું કે તરત આકાશમાંથી ભયંકર વરસાદ વરસવો શરૂ થયો. વજ્ર જેવા ભયાનક કડાકાભડાકા થવા લાગ્યા, સૂર્ય છુપાઈ ગયો. ધરતી ધમધમી ઊઠી. સમુદ્રનાં પાણી હાથી જેવડાં ઊંચા ઊછળવા લાગ્યાં. ચારે બાજુ ઘોર અંધકાર છવાઈ ગયો. એ હથિયારમાંથી બીજાં જાત-જાતનાં અનેક હથિયારો નીકળી પાંડવસેનાનો નિર્દયતાથી નાશ કરવા લાગ્યાં. આખું સૈન્ય ત્રાહિત્રાહિ પોકારી ઊઠ્યું.
ભીમ, અર્જુન, યુધિષ્ઠિર, સૌ ગભરાઈ ઊઠ્યા. આ હથિયારની સામે કેમ થવું તેની કોઈને ખબર ન હતી.
ખબર હતી એક માત્ર શ્રીકૃષ્ણને. તેમણે હુકમ છોડ્યો: “સૌ શાંત થઈ જાઓ. કોઈ એ હથિયારની સામે ન થશો. અને બધા પ્રણામ કરો. એ હથિયાર અપોઆપ શાંત થઈ જશે ! ”
સાચોસાચ, તેમ જ બન્યું.
પોતાનું આવું બળવાન હથિયાર શ્રીકૃષ્ણે નિષ્ફળ બનાવ્યું તેથી અશ્વત્થામાને ભારે દુ:ખ થયું. એણે પ્રાણની પણ પરવા કર્યાં વગર ભયંકર લડાઈ શરૂ કરી. પાંડવસેનામાં વળી પાછો જોતજોતામાં એણે ભારે ત્રાસ ફેલાવી દીધો.
આખરે એણે અગ્ન્યાસ્ત્ર નામનું બીજું ભયંકર બાણ છોડ્યું. પાંડવસેનામાં ચારે બાજુ આગઆગ થઈ રહી. બધા બળ્યા-બળ્યા થઈ રહ્યા. એનો ઉપાય કરે એ અરસામાં પાંડવોની એક અક્ષૌહિણી જેટલી વિશાળ સેના બળીને ખાક થઈ ગઈ. બ્રાહ્મણપુત્ર અશ્વત્થામા પાંડવસેનાની આ ભયંકર દુર્દશા જોઈ ખડખડાટ હસવા લાગ્યો.
અર્જુને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી એ હથિયારને આખરે હઠાવ્યું.
અશ્વત્થામા બીજું ભયંકર હથિયાર પણ ખાલી ગયેલું જોઈ નીચે મોંએ રણભૂમિમાંથી વિદાય થયો.
રાત પડવા આવી હતી એટલે લડાઈ પણ પૂરી થઈ.
દ્રોણ-પર્વનો મહાભારતનો કથાભાગ અહીં પૂરો થાય છે. સોળમા દિવસના યુદ્ધમાં દુર્યોધને સેનાપતિપદે કર્ણનો અભિષેક કર્યો. કર્ણની યુદ્ધકથાનો ભાગ મહાભારતમાં કર્ણ-પર્વને નામે ઓળખાય છે.